Thursday, 24 September 2020

 


પરિષદનું  કેન્દ્રબિંદુ : મધ્યસ્થ સમિતિ

'પરિષદની નીતિવિષયક બાબતો અંગેનો નિર્ણય મધ્યસ્થ સમિતિ કરશે.
[કલમ 5- અ, ગુજરાતી સાહિત્ય પરિષદનું સંવર્ધિત બંધારણ - ઓગષ્ટ 2020] 

ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy) પુનઃસ્થાપિત કરવા અંગે ઐતિહાસિક પહેલ કરનાર ભૂતપૂર્વ  પરિષદપ્રમુખ નારાયણ દેસાઈના નામને વીર નર્મદ યુનિવર્સીટીના નરેશ શુક્લ જેવા એક જવાબદાર અધ્યાપકે હાલની પ્રમુખપદની ચૂંટણીપ્રચારના આવેશમાં જે રીતે  ખરડવાની કોશિશ કરી તેથી દુઃખ થયું.  નારાયણભાઈ પરિષદપ્રમુખ બન્યા તે અગાઉ કોઈએ કરેલી સસ્તી નુક્તેચીનીને કશાય તાર્કિક સંદર્ભ વિના આજની ચર્ચામાં ફરી તાણી લાવી બે સસ્તા શબ્દો એમના નામ  સાથે ટેગ કરવાની એમની નાદાન ગુસ્તાખી માટે નરેશ શુક્લને ઇતિહાસ માફ નહીં કરે.


પરિષદની  હાલની ચૂંટણીમાં, અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો પ્રમુખ મુદ્દો ચોક્કસ છે, પણ એ એકમાત્ર મુદ્દો નથી. પરિષદના વહીવટમાં છેલ્લા ઘણા વર્ષોથી વરતાતી શિથિલતા પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ આ બાબત પરિષદપ્રમુખ કરતાં પરિષદમંત્રીઓને વધુ લાગુ પડતી હોઈ મધ્યસ્થ સમિતિની ચૂંટણી સંદર્ભે એની ચર્ચા થાય તે ઇચ્છનીય છે.  જોકે નવા ચૂંટાનારા પ્રમુખ પણ એ વિષે સજગતા દાખવે તે અપેક્ષિત છે.

આ વખતની ચૂંટણી દરમ્યાન બીજો એક ગંભીર પ્રશ્ન સામે આવી ઉભો તે ચૂંટણીસમિતિ  દ્વારા ચકાસણી બાદ રદ કરાતા ઉમેદવારીપત્રકોનો. ખાસ તો, જેમની ઉમેદવારી આ રીતે રદ કરાય છે તેમને સમયસર અને વિધિસર તે અંગે પરિષદ કાર્યાલય તરફથી લેખિત જાણ કરાતી નથી, અને તે અંગે જેતે ઉમેદવારને અપીલમાં જવાનો અવકાશ  રહેતો નથી. આ સાચેજ ગંભીર બાબત છે. કેમકે, જયારે ચૂંટણી સમિતિ અથવા પરિષદકાર્યાલયની અનદેખીને લીધે અથવા અન્ય કારણોસર કોઈ સભ્યની ઉમેદવારી રદ કરાય છે ત્યારે ચૂંટણીમાં ભાગ લેવાના તે સભ્યના મૂળભૂત અધિકારનું  હનન થાય છે. પરિષદે આ અંગે જાહેર ખુલાસો કર્યા વિના ચાલશે નહીં.  

ખેર,  પરિષદ એક સ્વાયત્ત પ્રજાકીય સંસ્થા છે. કોઈ એક પ્રમુખ કે ટ્રસ્ટી કે કોઈ એક જૂથની જોહુકમી ત્યાં ચલાવી લેવાતી નથી. ભૂતકાળમાં જ્યારેજ્યારે એવી હરકત થવા પામી છે ત્યારેત્યારે તેનો લોકશાહી પદ્ધતિએ વિરોધ અને પ્રતિકાર કરવામાં આવ્યો છે. મુનશી-ઉમાશંકર એપિસોડ એનો પહેલો પુરાવો હતો. તો, છેલ્લા દોઢેક દશકથી પરિષદપ્રમુખની વિધિવત ચૂંટણી કરવાની થાય છે અને પ્રભાવશાળી સિનિયર્સ વડે કરાતા ચૂંટણી ટાળવાના પ્રયાસોને સફળતાપૂર્વક ખાળી શકાય છે તે આનો વધુ એક પુરાવો છે. વર્તમાન ચૂંટણીમાં સંવર્ધક અને સંસ્થાસભ્યોના વિભાગોમાં પહેલવહેલી વાર ચૂંટણી થઇ રહી છે તે પણ આ સંદર્ભે નોંધનીય બાબત છે. 

પરિષદનસંમેલનના  પ્રમુખ તે પરિષદના તેમજ તેની કાર્યવાહક અને મધ્યસ્થ સમિતિના પ્રમુખ ગણાય છે. પરિષદની કોઈ પણ કાર્યવાહી દરમ્યાન નીતિનિયમોના અર્થઘટન અંગે પ્રમુખનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. આમ, પરિષદપ્રમુખ પરિષદના વહીવટી વડા પણ છે, પરંતુ વહીવટની તમામ કામગીરી મધ્યસ્થ સમિતિને આધીન રહીને કારોબારી સમિતિ કરે છે. 

આ કારોબારીના તમામ નિર્ણયોનો અમલ મહામંત્રી કરે છે.  અન્ય મંત્રીઓ પોતપોતાના વિભાગોની કામગીરી કરે છે. આ સર્વે આખરે મધ્યસ્થ સમિતિને અધીન છે, જેના વડા પરિષદપ્રમુખ છે.  

આ મુજબનું સંસ્થાના વહીવટનું મોડેલ પરિષદની સ્થાપના વખતે રણજિતરામે તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીની સમાંતર કલ્પેલું. તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીમાં પણ ચાલીસ સભ્યોની મધ્યસ્થ સમિતિની જોગવાઈ હતી. ચીમનભાઈ ત્રિવેદી અને નિરંજન ભગતે અગાઉ આ વિષે વિગતસર લખેલું છે. 

આજે જયારે વધુ એકવાર પરિષદના સભ્યો તેમના પ્રમુખ અને મધ્યસ્થ સમિતિની ચૂંટણી કરી રહ્યા છે ત્યારે સૌએ પરિષદના આ વહીવટી મોડેલનો ખ્યાલ રાખવો જોઈશે. એ જ રીતે પરિષદના ટીકાકારો તેમજ પ્રશંશકોએ અકાદમી અને પરિષદ વચ્ચેના મૂળભૂત ભેદને પણ સમજવો પડશે. ચૂંટણી દરમ્યાન થતી જાહેર ટીકાટિપ્પણો દરમ્યાન પરિષદની વહીવટી ક્ષતિઓ નો દોષ સીધેસીધો પ્રમુખને માથે ઢોળવામાં આવે તે ઠીક નથી. જેતે કાર્યકાળ માટે ચૂંટાયેલ મધ્યસ્થ સમિતિ અને સવિશેષ તો કાર્યવાહક સમિતિ અને તેના મંત્રીઓ આ માટે સૌ પહેલા જવાબદાર છે. 

સરવાળે, પરિષદ સભ્યોને નિવેદન કે એવા પ્રમુખ ચૂંટજો જેની પાસે પોતાના વિઝનને ભોંય પર ચરિતાર્થ કરવા સારું અનુકૂળ મધ્યસ્થ સમિતિ હોય, અને એવી મધ્યસ્થ સમિતિ ચૂંટજો જે પ્રમુખના વિઝનને કાર્યાન્વિત કરવા પ્રતિબદ્ધ હોય. 

PLEASE SHARE

Wednesday, 16 September 2020

પરિષદપ્રમુખની ચૂંટણીનો ત્રિકોણ 


'સાહિત્યના ઇતિહાસમાં એવો અનુભવ થાય છે કે કોઈ પણ સાહિત્યમાં સામાજિક સભાનતા સદાયને માટે કે દીર્ઘ સમય માટે પણ ગેરહાજર નથી રહેતી. ન રહી શકે.'  - નિરંજન ભગત 

[સ્વાધ્યાયલોક -1 પૃષ્ઠ 194] 


પ્રબુદ્ધ  વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાલા અને પ્રસિધ્ધ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રના અનુગામી પરિષદપ્રમુખ તરીકે નિરીક્ષક-તંત્રી અને ગુજરાતના પીઢ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહ, કે પછી કવિ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અથવા કવિ અને 'શબ્દસૃષ્ટિ'ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી ચૂંટાશે. મતલબ કે ત્રિપાંખિયો જંગ ખેલાશે.

 

યુવા ગુજરાત સાતમા નોરતાની રાત્રીએ વર્ચ્યુઅલ ગરબા રમવા થનગની રહ્યું હશે ત્યારે આગામી ત્રણ વર્ષ માટેના નવા પરિષદપ્રમુખના નામની અધિકૃત જાહેરાત થઇ ચુકી હશે. અને, દશેરા પહેલા મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા ચાલીસ સભ્યોના નામોની પણ જાહેરાત થઇ જશે. 


ગુજરાતમાં જાહેર સંસ્થાઓના સંચાલન અને નેતૃત્વનું ચિત્ર કેટલું નિરાશાજનક છે તે આપણે જાણીએ છીએ. ખાસ તો, માનવમૂલ્યો તેમજ  સાહિત્ય અને કલાનાં મૂળભૂત મૂલ્યોના સંરક્ષણ વિષે આ સંસ્થાઓમાં કેવું પ્રતિકૂળ વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે તેથી પણ આપણે વાકેફ છીએ. 

આવા મૂલ્યવિનાશી આક્રમક પવનો વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી એક નાની પણ સ્વાયત્ત સંસ્થા બચે કે ન બચે તેથી કયો મોટો ફેર પડી જવાનો છે, એવો ફિલસૂફ-અંદાજ ધરીને પોતાના બૌદ્ધિક સ્વાંગને સિનિકલ ભગવા પહેરાવી આખા ચિત્રમાંથી અલગ સરકી જનારા ઘણાં છે.  

પરંતુ, ક્યારેક એક નાનકડી શરૂઆત દૂરગામી ક્રાંતિની ચિનગારી બની રહેતી હોય છે. તો, પ્રારંભ પરત્વેનો પ્રમાદ પૂર્વે થયેલાં કામો ઉપર પાણી ફેરવી વાળતો હોય છે. માટે, પરિષદની વર્તમાન ચૂંટણીને, સિનિકો અને સુજ્ઞો બેઉએ હળવાશથી લેવાની જરૂર નથી. 

ખેર, પરિષદના બંધારણ અનુસાર, પરિષદપ્રમુખનું પદ ભલે સર્વોપરી ગણી શકાય, પરંતુ, સમગ્રપણે પરિષદના સંચાલન અને નીતિ વિષયક નિર્ણયો લેનારું કેન્દ્રીય ઘટક તો મધ્યસ્થ સમિતિ છે. પરિણામે,  મધ્યસ્થ સમિતિના ચુંટાયેલા ચાલીસ સભ્યો -જેમની પાસે મતાધિકાર હશે- તેમનાં  અધિકાર અને જવાબદારી સવિશેષ હશે.

આશા રાખીએ કે પરિષદપ્રમુખની  અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં પરિષદના મતદાતા-સભ્યો વધુ ને વધુ સંખ્યામાં જોડાય અને  લોકશાહી તેમજ લેખકોની સ્વાયત્તતા ઉપર તોળાઈ રહેલા સંકટસમયે ગાંધી-ગોવર્ધનરામ, ઉમાશંર-સુન્દરમ, અને રાજેન્દ્ર-નિરંજનની સૈકા જૂની સંસ્થાને નવું બળ આપે. 

તમામ ઉમેદવારો તથા તેમના ટેકેદારોને અપીલ કરીએ કે જ્ઞાતિજાતિ  કે વિચારધારાની મર્યાદાઓને વળોટી, સાહિત્યમાં સમાયેલા કલાના સામાજિક અને સૌંદર્યપરક મૂલ્યો વિશેની પ્રતિબદ્ધતા ઉજાગર કરી પરિષદને વ્યાપક અર્થમાં સમાવેશી અને પ્રગતિશીલ બનાવી શકે તેવા ઉમેદવારોને ચૂંટી કાઢવાની પહેલ કરે. એ જ રીતે, ચૂંટણી અધિકારીશ્રીને અરજ કરીએ કે મતદાનથી લઈને મતગણતરી સુધીની સાદ્યંત ચૂંટણીપ્રક્રિયા FREE & FARE  હોય તે માટે સતત કાળજી અને તકેદારી રાખે. 

PLEASE SHARE FREELY. 


Sunday, 23 August 2020

GUJARATI SAHITYA PARISHAD ELECTIONS 2020

  

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીની ચહલપહલ

મોડીમોડી તોય, આખરે પરિષદે ચૂંટણી અધિકારીની નિમણૂંક તો કરી! ધન્યવાદ! 

આ સાથે, ચૂંટણીની હવે પછીની પ્રક્રિયા ચૂંટણીઅધિકારીની સીધી દેખરેખ હેઠળ થશે. વર્તમાન કારોબારીસમિતિના હોદ્દેદારોની જવાબદારી ચૂંટણી અધિકારીને વહીવટી સહાય કરવાની, અને જરૂર જણાય ત્યાં ચૂંટણીપ્રક્રિયા સરળ અને પારદર્શક બની રહે તે માટે મતદારો તથા ઉમેદવારો સુધી તમામ આવશ્યક માહિતી સમયસર પહોંચે તે જોવાની, તેમજ વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે દિશામાં પરિષદકાર્યાલયને કાર્યરત બનાવવાની રહેશે. 

ખાસ તો, કોરોનાની પરીસ્થિતિને અનુલક્ષીને, ઉમેદવારો સુધી ઉમેદવારીપત્રકો તથા મતદારો સુધી મતપત્રકો કશાય અવરોધ વિના કે બિનજરુરી બ્યુરોક્રેટિક અરજી-ખુલાસા વિના પહોંચે તે રીતે પરિષદકાર્યાલયને સજ્જ  કરવાનું પણ રહેશે.

પ્રમુખપદના છેવટના દાવેદારો કોણકોણ હશે તેની મતદારોને જાણ તો બેલેટપેપર હાથમાં આવ્યે જ થશે. સિવાય કે, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ - સોળમી સપ્ટેમ્બર - બાદ પરિષદ કાર્યાલય નિયમિત પ્રેસરીલીઝ પાઠવીને ચૂંટણી પ્રક્રિયાને લગતી રોજેરોજની માહિતી જાહેર કરી વધુ પારદર્શક બનવાનું સ્વીકારે. 

દરમ્યાન, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહ, 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અને 'શબ્દશ્રુષ્ટિ'ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી વચ્ચે ત્રિપાંખી ચૂંટણી થાય તેવી સંભાવના છે. 

પ્રમુખપદની ચૂંટણીની સમાંતર મધ્યસ્થ સમિતિના ચાલીસ ઉમેદવારોની ચૂંટણીની પ્રક્રિયા પણ સત્તરમી ઓગસ્ટથી શરુ થઇ ચુકી છે. પ્રમુખપદ માટેના કથિત દાવેદારો અને ગુજરાતી સાહિત્ય અને/અથવા પરિષદ, અને/અથવા અકાદમી સાથે, સીધી તેમજ આડકતરી રીતે સંકળાયેલા સાહિત્યકારો તેમજ સાહિત્યની વિવિધ વિચારધારાઓના સમર્થકો પોતપોતાની પસંદગીના લેખકોને મધ્યસ્થ સમિતિની  ચૂંટણીમાં ભાગ લેવા પ્રેરી-ઉશ્કેરી રહ્યાના વરતારા પણ મળતા રહે છે.

આશા રાખીએ કે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, વધુ સરળ તથા પુરેપુરી સ્પષ્ટ હોય, એમાં કોઈ પણ બાબતે કશી સંદિગ્ધતા ન રહે. 

ઉમેદવારો તેમજ તેમના પ્રતિનિધિઓ પણ ગુજરાતની આ સૈકા ઉપરાંત જૂની, લોકશાહી મૂલ્યોને વરેલી, ગુજરાતી સાહિત્યની સૌથી વરિષ્ઠ સંસ્થાનાં  ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે રીતે ચૂંટણીપ્રચારમાં વધુ ને વધુ ઉત્સાહપૂર્વક જોડાશે તેવી અભિલાષા.

સૌ ઉમેદવારો તેમજ સૌ મતદારોને હાર્દિક શુભેચ્છાઓ.

PLEASE SHARE, PLEASE COMMENT. STAY SAFE.
 

Tuesday, 28 July 2020

'સત્તા' નહીં, 'સ્વાયત્તતા'


GUJARATI SAHITYA PARISHAD 

PRESIDENT'S ELECTION (2021-2023) 

BLOG 03 

સત્તા નહીં , સ્વાયત્તતા 


સ્વાયત્તતાસત્તા નથી. એમાં સ્વેચ્છાએ ઉપાડેલી જવાબદારી સમાયેલી છે. લેખકો અને કલાકારો આ જવાબદારી સ્વીકારીને સ્વાયત્તતાનો આગ્રહ રાખે છે. એ સ્વાયત્તતાની ભીખ માંગતા નથી, પણ, સત્તાના બળે  એમની  સર્જકતા ઉપર જે તરાપ મારે છે તેમને, એ પોતે સ્વાયત્ત છે એ વાત ગાજી-ગરજીને યાદ અપાવે છે. 


ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની નિમણૂંક કરવામાં સરકારને આટલો બધો રસ કેમ છે? કવિઓ-લેખકોને પોતાને વશવર્તી રાખવાની ખેવના એ કેમ રાખે છે? અકાદમીના સભ્યો પોતાના પ્રમુખને લોકશાહીની પરંપરા  મુજબ  બેલેટ વડે મતદાન કરીને ચૂંટી કાઢે  એનો એમને વિરોધ શા માટે છે? રાજ્ય સરકાર  અકાદમીનો ખર્ચ ઉઠાવે છે તેથી અકાદમીના પ્રમુખ નીમવાનો અધિકાર પણ એને હોવો જોઈએ એ કેવી બેતૂકી દલીલ છે!


પાંચ-પચીસ મહત્વના સાહિત્યકારોની યાદીમાંથી રાજ્ય સરકાર કયા આધારે એ નક્કી કરશે કે અકાદમીના પ્રમુખ  વિષ્ણુ પંડ્યાને બનાવવા જોઈએ કે ધીરુબેન પટેલને કે ચંદ્રકાન્ત શેઠને કે શિરીષ પંચાલને ? એ નક્કી કરવા માટે એમની પાસે એવી તે કઈ યોગ્યતા છે જે વાચકો, લેખકો, કવિઓ, વિવેચકો, વગેરે અકાદેમીના સભ્યોના બહુમતી મતદાનથી વિશેષ અધિકૃત હોય?


પણ ના, ગુજરાત સરકાર તો જીદે ચઢી છે કે તમારા પ્રમુખ તો અમે જ નીમીએ. એટલે, એ પ્રમુખ અમારી દેખરેખ હેઠળ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય કેવું હોવું જોઈએ , ગુજરાતી લેખકે શું લખવું જોઈએ ને શું ના લખવું જોઈએ એ અમેજ નક્કી કરીએ. આ ઠીક નથી.


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી આ કારણે પણ મહત્વની છે. 

પરિષદના સૌ સભ્યોએ આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે.

 

પોતાનો મત આપતી વખતે એમણે એ યાદ રાખવું જોઈશે કે પ્રમુખપદનો સાચો દાવેદાર સત્તાનો નહિ સ્વાયત્તતાનો આગ્રહી હશે. ગુજરાતી સાહિત્ય અકાદમીની છીનવાયેલી સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિષે એ અવઢવમાં નહીં  હોય, બલ્કે, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી 'દર્શક', નિરંજન ભગત, નારાયણ દેસાઈ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર  જેવા મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારોએ ઉપાડેલા આ સ્વાયત્તતા આંદોલનને એના લક્ષ્ય સુધી પહોંચાડવા વિષે એ પ્રતિબધ્ધ  અને કટિબધ્ધ હશે.


PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE.

Friday, 10 July 2020

Gujarati Sahitya Parishad Elections 2020 BLOG 02


GUJARATI SAHITYA PARISHAD

PRESIDENT'S ELECTION (2021-2023)

પરિષદના નવા પ્રમુખ કોણ હશે?


ચિત્રમાં પરિષદના બે પૂર્વ પ્રમુખો - ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જકો ઉમાશંકર જોશી અને સુન્દરમ નજરે પડે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું  જૂનાગઢ ખાતે મળેલું પચીસમું સંમેલન. 1969. ઉમાશંકર વિદાય લેતા પ્રમુખ તરીકે અને સુન્દરમ નવા વરાયેલા પ્રમુખ તરીકે ઉપસ્થિત છે. 

આજે અર્ધી સદીના અંતરે આપણે ફરી એક વાર પરિષદ પ્રમુખની ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. હજી પ્રમુખપદના દાવેદારો ની જાહેરાત થઇ નથી. પરંતુ સોશ્યલ મીડિયા ઉપર તેમજ અંતરંગ વર્તુળોમાં સંભવિત ઉમેદવારોના નામો વિષે ચર્ચા ચાલી રહી છે. 


સામાન્ય રીતે, પરિષદના કુલ સભ્યો પૈકી માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા સભ્યો જ મતદાન કરે છે. આ એક ગંભીર ક્ષતિ છે. માત્ર ત્રીજા ભાગના સભ્યો આમ આખી પરિષદનું ભાવિ નક્કી કરે એ આપણી મોટી મર્યાદા લેખાય.


પરિષદની ટીકા કરવા માટે આપણે રાતદિવસ તૈયાર હોઈએ છીએ - એમ હોવું પણ જોઈએ. તો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો એ પણ એટલું જ મહત્વનું છે. 

પરિષદના ચૂંટણી અધિકારીને પણ આપણે વિનંતી કરીએ કે પરિષદના તમામ પ્રસાર માધ્યમો થકી પરિષદના સભ્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિષે તેઓ સતત જાગૃત કરતા રહે.

આખરે પ્રમુખપદની ચૂંટણી, વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન શાહ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક વચ્ચે થશે  કે ત્રિકોણ કે ચતુષ્કોણ આકારે બેથી વધુ ઉમેદવારો વચ્ચે થશે એ સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રમુખપદની ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે: 

'ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુનઃસ્થાપના'.


ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગાંધીનગરની સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy)ની પુનઃસ્થાપના માટેની પરિષદની માંગણી હાલ આંદોલનરૂપે રાજ્યભરમાં પડઘાઈ રહી છે. પ્રમુખપદના તમામ દાવેદારોએ અકાદમીની સ્વાયત્તતા વિશે પોતાનો સ્પષ્ટ મત અચૂક જાહેર કરવો જોઈશે. 

PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE

Wednesday, 17 June 2020

Gujarati Sahitya Parishad Elections 2020 BLOG 01


GUJARATI SAHITYA PARISHAD

PRESIDENT'S ELECTION (2021-2023)


આગામી ત્રણ વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. 
પરિષદ કરતાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે સંકળાયેલા વર્તુળોમાં એ માટે સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં ઉતાવળ પણ ભળેલી છે તે ય દેખાય છે.
આ પરથી બે બાબત સ્પષ્ટ થાય છે - 
પહેલી એ કે આગાઉના બે પરિષદ પ્રમુખોની પેઠે નવા પરિષદ પ્રમુખે પણ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની પરિષદની લડતનું નેતૃત્વ લઇ અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત થાય તે માટે નક્કર પ્રયાસો આદરવા જોઈશે. 
બીજું, કે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્રના કુલ પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન, નારાયણ દેસાઈના પ્રમુખપદે આરંભાયેલી અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિશેની પરિષદની પ્રતિબદ્ધતા અખંડ રહી છે, જેને પરિણામે, નાનાંમોટાં ને નવાંજૂનાં સૌ સાહિત્યકારો તેમજ સાહિત્યરસિકો સ્વાયત્તતાના મુદ્દે આજે પરિષદને પડખે છે. મણિલાલ હ. પટેલ સિવાય બીજા કેટલા નામાંકિત સાહિત્યકારો આ બાબતે  આજે અકાદમી સાથે છે?  
વળી, પેલી એક કરુણ સાંજે કવિ નિરંજન ભગતના અંતિમ શ્વાસમાં સ્વાયત્તતાની માંગના મક્કમ પડઘા મધ્યસ્થ સમિતિના જે સભ્યોએ સાંભળ્યા છે તે સૌ, અને સદ્દગત કવિના અન્ય તમામ ચાહકો કવિનાં શ્વાસની આમન્યા તોડશે નહિ કે તૂટવા દેશે નહિ તેની પણ મને ખાતરી છે.
આ પરિસ્થિતિમાં, કેટલાક લેખકો - જે દૂધમાં અને દહીંમાં બેયમાં પગ રાખવાવાળા છે - તેઓ પોતાને અનુકૂળ પરિષદપ્રમુખ ચૂંટી, સ્વાયત્તતા આંદોલનને મોળું પાડી, અકાદમીનો સીધો પગપેસારો પરિષદમાં કરાવવાની નેમ સેવી રહ્યા છે. 
ત્યારે, સ્વાયત્તતા તરફી પરિષદના મોટાભાગના સામાન્ય સભ્યો, આમ ઉતાવળે સૂચવાઇ રહેલા પ્રમુખપદ માટેનાં કેટલાક હરખઘેલાં નામોની કુંડળી તપાસતા મૌન સેવી રહ્યા છે. 
આખરે તો, પરિષદના નવા પ્રમુખ નક્કી કરવાનાં સત્તા અને સામર્થ્ય તેમની જ પાસે છે. અંધકાર અને પ્રકાશ એ બે વચ્ચે વરણી કરવાનું કામ એમના માટે સ્હેજેય અઘરું નથી.

PLEASE SHARE, PLEASE COMMENT



Thursday, 27 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 02



સ્વાયત્તતા સંમેલન 
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પહેલી માર્ચ , રવિવાર ,બપોરે બે વાગ્યે 



આથી  હશે અન્ય ન કોઈ રસ્તો ?
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો ,
ને પથ્થરો થી વધુ હોય પોચો?

જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો ,
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો ;
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી, 
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી?

વિચારની  જ્યાં નવ હોય શૂન્યતા,
ને ન્યાય ની ન્હોય જરીય ન્યૂનતા? 

બિરાદરી  ખેલદિલી સમાજે 
ખીલાવવી હોય સદાય કાજે ,
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં 
અનિષ્ટ કૈ; યુગોથી પેઠાં,
દેવા સદાની સહુને શિકસ્તો 
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો !


- નિરંજન ભગત 

'નિવેદન , ઓગષ્ટ  1956' કાવ્યમાંથી  સાભાર 


Thursday, 13 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 01


કવિ ને  પ્રશ્ન 

ખરી કે ખોટી, 
તાકાત નો જ ક્યાં ખપ હોય છે કવિને?
કવિનું તો હોડી જેવું નહીં ?
એને દૂર શું, નજીક શું?

ને વાત ક્યાં દૂરનું જોવાની છે?
નાક નીચે જે થઇ રહ્યું છે 
તે તો બંધ આંખે પણ સૂંઘી જ શકાય છે ને?

મઝાનો ખેલ જામ્યો છે, નહીં કવિ?
એકને દૂરનું દેખાય નહીં 
અને બીજો આંખ આડા કાન કરે.
ને સોયના નાકામાંથી 
ઊંટોની વણઝાર નીસરે.

બહુ થયું હવે. 
અંધારા ઓરડામાં બેસીને  
ક્યાં સુધી જાત સાથે લડાઈ લડતા રહેશો કવિ ?

બંધ બારણે સૂરજની વાતો કરવાનું રહેવા દઈએ હવે. 
ચાલો, ઉઘાડીએ હવે બારી.
આપણે બહાર નીકળીએ,
અને, પ્રકાશને અંદર પ્રવેશવા દઈએ.


-પરેશ નાયક







Monday, 20 November 2017

PARISHAD ELECTIONS - BLOG 09

મહામંત્રીપદનો કોયડો

પરિષદના વહીવટમાં મહામંત્રીનું પદ એ મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિ વચ્ચેની કડીરૂપ છે. 
મધ્યસ્થ સમિતિના એક પ્રતિનિધિ તરીકે મહામંત્રી ચૂંટવાનો આપણો અધિકાર જવાબદારીભર્યો છે. 

સામાન્ય સભ્યોએ ચૂંટેલી મધ્યસ્થ સમિતિ અને મધ્યસ્થ સમિતિના સભ્યો વડે ચૂંટાયેલી કારોબારી સમિતિ સામાન્ય સભ્યોએ ચૂંટેલા પરિષદપ્રમુખની રાહબરી હેઠળ પરિષદનું સંચાલન કરે તેવી વ્યવસ્થા બંધારણમાં છે. આ સંજોગોમાં, પરિષદના મહામંત્રી તેમના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને વિકેન્દ્રીય કાર્યપદ્ધતિ અપનાવે તે લોકશાહીને વરેલી જાહેર સંસ્થાનો પાયાનો આદર્શ ગણાય. 

ત્રીજા વધુ યોગ્ય ઉમેદવારને અભાવે, મહામંત્રીપદ માટેનું મતદાન આપણે સૌને માટે કોયડારૂપ છે. 
ત્યારે, જુના મહામંત્રીના કેન્દ્રગામી અને અપારદર્શક વહીવટને દોહરાવવાને બદલે હું નવા મહામંત્રીના સાહિત્યિક મૂલ્યો અને વૈચારિક ખુલ્લાપણાને આવકારીશ. 
કોયડો ભલે ન સુલઝે, તવા પરનો રોટલો બળી જતો બચાવીશ. કાચોપાકો તોય, સાજોસમો, આખેઆખો રોટલો પરિષદને વધુ ત્રણ વર્ષ માટે ટકી રહેવાનું સામર્થ્ય તો આપશે!! 

અન્યથા, પહેલા તરત કોલસો, ને પછી કેવળ રાખ...

ઇતિ મત-વિચાર 

પરેશ નાયક 


Saturday, 18 November 2017

PARISHAD ELECTIONS - BLOG - 08

પરિષદની કાર્યવાહક સમિતિની ચૂંટણી 

વર્ષ 2018-2020 માટેની ગુજરાતી સાહિત્ય પરિષદની, પ્રમુખપદની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ પછી અત્યારે ચાલી રહેલી કાર્યવાહક સમિતિની ચૂંટણી સવિશેષ નાટ્યાત્મક બની રહી છે. એમાં જેટલાં તત્વો કોમેડીનાં છે એટલાં જ ટ્રેજેડીનાં, ને સૌથી વધારે તો ટ્રેજીકોમેડીનાં  છે. રાજ્યની અને દેશની મુખ્ય ધારાઓની ચૂંટણીઓની તમામ વિરૂપતાઓ એમાં દેખાઈ રહી છે. 

મધ્યસ્થ સમિતિના તમામ સભ્યોને ટેલિફોન કરીને તાબડતોબ મતપત્રો પરત મોકલી આપવાની જે તાકીદ પરિષદના કેટલાક 'જ્વાબદાર' સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે તે અનૈતિક જ નહિ, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાને ખંડિત કરનારી પણ છે. 

મતપત્રો મોકલવાની છેલ્લી તારીખને હજી ખાસ્સી વાર છે ત્યારે આ પ્રકારની તાકીદ અમુક જૂથની તરકીબોને અનુકૂળ મતદાન કરાવનાર નીવડી શકે છે. મઘ્યસ્થ સમિતિના સૌ સભ્યો આ કે પેલા જૂથની દરકાર કર્યા વિના પોતપોતાની મુનસફી મુજબ સ્વસ્થ ચિત્તે મતના મૂલ્ય અને મહત્તાને સમજીને મતદાન કરશે એવી સામાન્ય સભ્યોને આશા-અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. મતપત્રકો પરત કરવામાં મોડું ન થાય તેની કાળજી જેમ જરૂરી છે તેમ ઉતાવળે અપાયેલો આપણો મત એનાં મૂલ્ય ને મહત્તા બેય ગુમાવે નહિ તેની દરકાર પણ જરૂરી છે.

ઇતિ ચેત-વાણી
પરેશ નાયક 
અઢાર અગિયાર બે હાજર સત્તર - અમદાવાદ


Sunday, 15 October 2017

PARISHAD ELECTIONS - BLOG 07

ગુજરાતી સાહિત્યના બે સમર્થ વિદ્વાનો  - ડૉ ચંદ્રકાન્ત ટોપીવાળા અને ડૉ સિતાંશુ યશશ્ચંદ્ર.
બંનેને પરસ્પર માટે જેટલો પ્રેમાદર છે તેટલો જ પ્રેમાદર ગુજરાતી વાચકો, વિદ્યાર્થીઓ અને લેખકોને આ બંને વિદ્વાનો માટે છે. ગુજરાતી સાહિત્યના કોઈ પણ મહત્વના કાર્યમાં બેઉ વિદ્વાનો પરસ્પરના સહજ પર્યાય બની શકે તેટલા સમર્થ છે.
પરિષદપ્રમુખની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જે સભ્યોએ હજી પણ મતદાન કરવાનું બાકી હોય તેમને આગ્રહભરી વિનંતી કે ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્રને તમારો મત આપી, આજે જ, હમણાં જ, પરિષદકાર્યાલયને સરનામે રવાના કરશો.
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।। હમણાં જ આપો, સિતાંશુને જ મત આપો।।
ઇતિ મતદાન-વચન
પરેશ નાયક




Wednesday, 11 October 2017

PARISHAD ELECTIONS - BLOG 06

PARISHAD ELECTIONS - BLOG 06
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પ્રમુખની ચૂંટણી 
2018-2020

ચૂંટણીનું ગાયન:
'ચાર ફૂલ, એક હાટ'

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!

મારી તે હાટડીમાં ચારચાર ફૂલ. 
દેવાં ચારેય વિના મૂલ, ઓ બાબુ સુથાર!
ઓરાં આવો તો-
પહેલું તે ફૂલ મને બળવંતે દીધું 
'ડાયસ્પોરા' કીધું એનું નામ, હે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
બીજું  તે ફૂલ મને સિતાંશુએ દીધું 
'સર્જકતા' દીધું એનું નામ, જો બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ત્રીજું તે ફૂલ મને બળવંતે દીધું.
'ડિજિટલ' પાડયું એનું નામ, તે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચોથું તે ફૂલ મને સિતાંશુએ દીધું.
'સ્વાયત્તતા' એવું એનું નામ, હોં બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચાર ચાર ફૂલ સજી ચૂંટણી તેડાવી મેં તો! 
'પોલીટીશીયન્ન' મારું નામ, રે બાબુ સુથાર! 
ઓરાં આવો તો-
દેજોદેજો રે તમે વોટ, કરી 'ચોકડી'.
અમને દેજો જરી સુગંધ, ઓ બાબુ સુથાર!

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!
-
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।।આપો, ઝટ આપો, સિતાંશુને જ મત આપો।।

ઇતિ વોટ-વચન

(વિદેશી ભારતીય મિત્ર બાબુ સુથારને, જવાબમાં.  )
પરેશ નાયક 

Thursday, 5 October 2017

PARISHAD ELECTIONS - BLOG 05

PARISHAD ELECTIONS - BLOG 05
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી 
2018-2020
પાંચ 

' શબ્દ ' અને ' અર્થ '

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!

શબ્દ ખોળતાં અર્થ લાધીયો,
પડછાયાની કાયા જેવો.

અહો, કાચને તૃષ્ણા જાગી!
સ્પર્શ રૂપનો ભીનો એવો.

થયો અર્થ સંદર્ભ-વેગળો,
પદક ઝળહળ્યો, સામો જેવો!

હો અથવાનો અરથ અનેરો
જેવા સાથે કેવો તેવો!

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સર્જકતા' અને સિતાંશુને જ મત આપો ।।

ઇતિ વિસ્મયવચન 
(કવિ ગુલામમોહમ્મ્દ શેખની યાદમાં)
પરેશ નાયક 

Sunday, 1 October 2017

PARISHAD ELECTIONS - BLOG 04

PARISHAD ELECTIONS - BLOG 04

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 
2018-2020
ચાર 

'ચૂંટણી' એ 'સ્વાયત્તત્તા'નું ઉપનામ છે.


પરિષદ સાથે સંકળાયેલા યુવા લેખકો અને સભ્યોએ એ વાત સમજવા જેવી છે કે પરિષદની વર્તમાન ચૂંટણીનો એક પ્રમુખ મુદ્દો ગુજરાતી સાહિત્યની સ્વાયત્તત્તાનો  છે.  
નિરંજન ભગત, ચંદ્રકાન્ત ટોપીવાળા, ધીરુ પરીખ, પ્રકાશ ન. શાહ જેવા વરિષ્ઠ અને સન્માનનીય સાહિત્યકારોનો અકાદમીની સ્વાયત્તતા વિશેનો  સતત આગ્રહ એ વિતંડાવાદ નહી પણ વિધાયક વિમર્શનું સ્વસ્થ ઉદાહરણ છે.

આજની સરકારી નિયંત્રણ હેઠળની અકાદમી આવતીકાલે પરિષદની સ્વાયત્તતાને ખંડિત કરી શકશે. એ કરતાં, આજની સ્વાયત્ત પરિષદ અકાદમી માટે પ્રેરણારૂપ બને એમાં આવતીકાલના ગુજરાતી સાહિત્ય વિષે શુભસંકેત છે.

જેટલી પારદર્શકતાથી પરિષદમાં ચૂંટણી યોજાઈ રહી છે તે સૂચવે છે કે પરિષદ સાચા અર્થમાં સ્વાયત્ત છે. અકાદમી નથી. હોવી જોઈએ.

કવિ સિતાંશુએ ભૂતકાળમાં પરિષદની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી છે. એથી પરિષદ ઉપરનો એમનો અધિકાર ઘટતો નથી, બેવડાય છે. બળવંત જાની પણ આજ લગી પરિષદ વિષે તટસ્થ હતા પણ હવે સક્રિય થવા ચાહે  છે, તો એમનો પણ એ સહજ અધિકાર છે. બેમાંથી કોને પ્રમુખપદે સ્થાપવા એ આપનો અધિકાર છે. સમયસર મતદાન કરી એ અધિકારને અદા કરીએ. અને એ રીતે ચૂંટણીને સ્વાયત્તતાના મૂલ્યરૂપે સ્થાપીએ. 
લોકશાહી સમાજમાં ચૂંટણી દુષણ નહિ આભૂષણ છે. 'ચૂંટણી' એ 'સ્વાયત્તતા'નું સાચું ઉપનામ છે.
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વિમર્શ 
પરેશ નાયક 

Friday, 29 September 2017

PARISHAD ELECTIONS - BLOG 03



PARISHAD ELECTIONS - BLOG 03
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 

2018-2020
ત્રણ 

પ્રિય મિત્ર બળવંતને

-
ધખના સાચી હોય તો, શબ્દબ્રહ્મને જાણ!
પોપટબાની પઢીપઢી, મત કર વ્યર્થ વિલાપ!

હતી પરિષદ લોકની, એક સદી થઈ આજ.
કરવી'તી બે ચાકરી, તન-મન-ધનથી, બાપ!

સતને જાણીશ અંધ મા, જુએ તને હર બાર!
સત્તાખોળે બૈઠકે, મત ભણ જૂઠી તાન !!
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સર્જકતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ દોહરા  
પરેશ નાયક 

Wednesday, 27 September 2017

PARISHAD ELECTIONS - BLOG 02


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 

2018-2020

બે

જયન્ત પંડયા અને બકુલ ત્રિપાઠી વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં લોકશાહી પ્રક્રિયાની પુનઃસ્થાપના થઈ શકી. ચંદ્રકાન્ત ટોપીવાળા અને નાનુભાઈ નાયક વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં સાહિત્યિક ધોરણો ઉપર ફરી એક વાર ભાર મુકાયો.
બળવંત જાની અને સિતાંશુ યશશ્ચંદ્ર વચ્ચેની ચૂંટણી ઉપરની બન્ને ચૂંટણીઓ જેટલી જ મહત્વની છે. કેમકે એનાથી સ્વાયત્તત્તા અને સર્જનશીલતા માટેની પરિષદની પ્રતિબદ્ધતા સુદ્રઢ બનશે.

।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વારતા 
પરેશ નાયક 

Monday, 18 September 2017

PARISHAD ELECTIONS - BLOG 01


ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી 
2018-2020
બે

સાહિત્ય કલાઓની કલા  છે.
ચૂંટણી એ લોકશાહી-રાજકારણની  કલા છે.

કવિ  સિતાંશુ યશશ્ચંદ્ર  અને  ડૉક્ટર બળવંત જાની  ચૂંટણીના મેદાનમાં  છે.
કવિ સાહિત્યના કલાકાર છે.   બળવંત રાજકારણના કલાકાર છે.

તમારો મત કોને આપશો?
પરેશ નાયક