GUJARATI SAHITYA PARISHAD
PRESIDENT'S ELECTION (2021-2023)
પરિષદના નવા પ્રમુખ કોણ હશે?
ચિત્રમાં પરિષદના બે પૂર્વ પ્રમુખો - ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જકો ઉમાશંકર જોશી અને સુન્દરમ નજરે પડે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જૂનાગઢ ખાતે મળેલું પચીસમું સંમેલન. 1969. ઉમાશંકર વિદાય લેતા પ્રમુખ તરીકે અને સુન્દરમ નવા વરાયેલા પ્રમુખ તરીકે ઉપસ્થિત છે.
આજે અર્ધી સદીના અંતરે આપણે ફરી એક વાર પરિષદ પ્રમુખની ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. હજી પ્રમુખપદના દાવેદારો ની જાહેરાત થઇ નથી. પરંતુ સોશ્યલ મીડિયા ઉપર તેમજ અંતરંગ વર્તુળોમાં સંભવિત ઉમેદવારોના નામો વિષે ચર્ચા ચાલી રહી છે.
સામાન્ય રીતે, પરિષદના કુલ સભ્યો પૈકી માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા સભ્યો જ મતદાન કરે છે. આ એક ગંભીર ક્ષતિ છે. માત્ર ત્રીજા ભાગના સભ્યો આમ આખી પરિષદનું ભાવિ નક્કી કરે એ આપણી મોટી મર્યાદા લેખાય.
પરિષદના ચૂંટણી અધિકારીને પણ આપણે વિનંતી કરીએ કે પરિષદના તમામ પ્રસાર માધ્યમો થકી પરિષદના સભ્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિષે તેઓ સતત જાગૃત કરતા રહે.
આખરે પ્રમુખપદની ચૂંટણી, વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન શાહ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક વચ્ચે થશે કે ત્રિકોણ કે ચતુષ્કોણ આકારે બેથી વધુ ઉમેદવારો વચ્ચે થશે એ સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રમુખપદની ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે:
'ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુનઃસ્થાપના'.
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગાંધીનગરની સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy)ની પુનઃસ્થાપના માટેની પરિષદની માંગણી હાલ આંદોલનરૂપે રાજ્યભરમાં પડઘાઈ રહી છે. પ્રમુખપદના તમામ દાવેદારોએ અકાદમીની સ્વાયત્તતા વિશે પોતાનો સ્પષ્ટ મત અચૂક જાહેર કરવો જોઈશે.
PLEASE SHARE, PLEASE COMMENT # STAY SAFE, TAKE CARE
No comments:
Post a Comment