Tuesday, 28 July 2020

'સત્તા' નહીં, 'સ્વાયત્તતા'


GUJARATI SAHITYA PARISHAD 

PRESIDENT'S ELECTION (2021-2023) 

BLOG 03 

સત્તા નહીં , સ્વાયત્તતા 


સ્વાયત્તતાસત્તા નથી. એમાં સ્વેચ્છાએ ઉપાડેલી જવાબદારી સમાયેલી છે. લેખકો અને કલાકારો આ જવાબદારી સ્વીકારીને સ્વાયત્તતાનો આગ્રહ રાખે છે. એ સ્વાયત્તતાની ભીખ માંગતા નથી, પણ, સત્તાના બળે  એમની  સર્જકતા ઉપર જે તરાપ મારે છે તેમને, એ પોતે સ્વાયત્ત છે એ વાત ગાજી-ગરજીને યાદ અપાવે છે. 


ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની નિમણૂંક કરવામાં સરકારને આટલો બધો રસ કેમ છે? કવિઓ-લેખકોને પોતાને વશવર્તી રાખવાની ખેવના એ કેમ રાખે છે? અકાદમીના સભ્યો પોતાના પ્રમુખને લોકશાહીની પરંપરા  મુજબ  બેલેટ વડે મતદાન કરીને ચૂંટી કાઢે  એનો એમને વિરોધ શા માટે છે? રાજ્ય સરકાર  અકાદમીનો ખર્ચ ઉઠાવે છે તેથી અકાદમીના પ્રમુખ નીમવાનો અધિકાર પણ એને હોવો જોઈએ એ કેવી બેતૂકી દલીલ છે!


પાંચ-પચીસ મહત્વના સાહિત્યકારોની યાદીમાંથી રાજ્ય સરકાર કયા આધારે એ નક્કી કરશે કે અકાદમીના પ્રમુખ  વિષ્ણુ પંડ્યાને બનાવવા જોઈએ કે ધીરુબેન પટેલને કે ચંદ્રકાન્ત શેઠને કે શિરીષ પંચાલને ? એ નક્કી કરવા માટે એમની પાસે એવી તે કઈ યોગ્યતા છે જે વાચકો, લેખકો, કવિઓ, વિવેચકો, વગેરે અકાદેમીના સભ્યોના બહુમતી મતદાનથી વિશેષ અધિકૃત હોય?


પણ ના, ગુજરાત સરકાર તો જીદે ચઢી છે કે તમારા પ્રમુખ તો અમે જ નીમીએ. એટલે, એ પ્રમુખ અમારી દેખરેખ હેઠળ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય કેવું હોવું જોઈએ , ગુજરાતી લેખકે શું લખવું જોઈએ ને શું ના લખવું જોઈએ એ અમેજ નક્કી કરીએ. આ ઠીક નથી.


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી આ કારણે પણ મહત્વની છે. 

પરિષદના સૌ સભ્યોએ આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે.

 

પોતાનો મત આપતી વખતે એમણે એ યાદ રાખવું જોઈશે કે પ્રમુખપદનો સાચો દાવેદાર સત્તાનો નહિ સ્વાયત્તતાનો આગ્રહી હશે. ગુજરાતી સાહિત્ય અકાદમીની છીનવાયેલી સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિષે એ અવઢવમાં નહીં  હોય, બલ્કે, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી 'દર્શક', નિરંજન ભગત, નારાયણ દેસાઈ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર  જેવા મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારોએ ઉપાડેલા આ સ્વાયત્તતા આંદોલનને એના લક્ષ્ય સુધી પહોંચાડવા વિષે એ પ્રતિબધ્ધ  અને કટિબધ્ધ હશે.


PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE.

Friday, 10 July 2020

Gujarati Sahitya Parishad Elections 2020 BLOG 02


GUJARATI SAHITYA PARISHAD

PRESIDENT'S ELECTION (2021-2023)

પરિષદના નવા પ્રમુખ કોણ હશે?


ચિત્રમાં પરિષદના બે પૂર્વ પ્રમુખો - ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જકો ઉમાશંકર જોશી અને સુન્દરમ નજરે પડે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું  જૂનાગઢ ખાતે મળેલું પચીસમું સંમેલન. 1969. ઉમાશંકર વિદાય લેતા પ્રમુખ તરીકે અને સુન્દરમ નવા વરાયેલા પ્રમુખ તરીકે ઉપસ્થિત છે. 

આજે અર્ધી સદીના અંતરે આપણે ફરી એક વાર પરિષદ પ્રમુખની ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. હજી પ્રમુખપદના દાવેદારો ની જાહેરાત થઇ નથી. પરંતુ સોશ્યલ મીડિયા ઉપર તેમજ અંતરંગ વર્તુળોમાં સંભવિત ઉમેદવારોના નામો વિષે ચર્ચા ચાલી રહી છે. 


સામાન્ય રીતે, પરિષદના કુલ સભ્યો પૈકી માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા સભ્યો જ મતદાન કરે છે. આ એક ગંભીર ક્ષતિ છે. માત્ર ત્રીજા ભાગના સભ્યો આમ આખી પરિષદનું ભાવિ નક્કી કરે એ આપણી મોટી મર્યાદા લેખાય.


પરિષદની ટીકા કરવા માટે આપણે રાતદિવસ તૈયાર હોઈએ છીએ - એમ હોવું પણ જોઈએ. તો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો એ પણ એટલું જ મહત્વનું છે. 

પરિષદના ચૂંટણી અધિકારીને પણ આપણે વિનંતી કરીએ કે પરિષદના તમામ પ્રસાર માધ્યમો થકી પરિષદના સભ્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિષે તેઓ સતત જાગૃત કરતા રહે.

આખરે પ્રમુખપદની ચૂંટણી, વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન શાહ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક વચ્ચે થશે  કે ત્રિકોણ કે ચતુષ્કોણ આકારે બેથી વધુ ઉમેદવારો વચ્ચે થશે એ સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રમુખપદની ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે: 

'ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુનઃસ્થાપના'.


ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગાંધીનગરની સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy)ની પુનઃસ્થાપના માટેની પરિષદની માંગણી હાલ આંદોલનરૂપે રાજ્યભરમાં પડઘાઈ રહી છે. પ્રમુખપદના તમામ દાવેદારોએ અકાદમીની સ્વાયત્તતા વિશે પોતાનો સ્પષ્ટ મત અચૂક જાહેર કરવો જોઈશે. 

PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE